અમદાવાદમાં ગત રવિવારે અતિભારે વરસાદને પગલે શહેરના ઘણા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તમામ ઘરવખરી ભીની થઈ ગઈ હતી. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની આગાહી આપતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતા તંત્ર સાવચેતીના પગલે લોકોને એલર્ટ રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. ગત ભારે વરસાદને લઈ એએમસીની તમામ કામગીરી ફ્લોપ થઈ હતી. રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને સોસાયટી તથા પાર્કિંગમાં પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો હતો. તો બીજી બાજુ લોકોના ધંધા વેપાર ઉપર માઠી અસર જોવા મળી હતી.
મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ પાણીમાં ફસાઈ હતી. લોકો બસમાંથી બહાર આવી શકે તેમ ન હતા. ફાયરબ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઇસનપુર ચાર રસ્તા પાસે પણ ખાનગી લકઝરી બસ ફસાઈ હતી. બસ આખી પેસેન્જરોથી ભરેલી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના વાહનો ઉપર બેસાડી અને મણીનગર ફાયર સ્ટેશન સહી સલામત લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ વહેલી સવારે અલગ-અલગ વિસ્તારમાં પોતાની રીતે પરત ગયા હતા.