અસહ્ય બાફ ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આકાશમાં કાળા ડિંબાગ વાદળો ધેરાયા બાદ દોઢ ઈંચ વરસાદ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા.કાદવ,કિંચળનું સામ્રાજ્ય ફેલાયું છે.માખી-મચ્છરોનો ઉપદ્રવ વધતા આગામી સમયમાં રોગચાળો ફેલાઈ તેવી સંભાવના સેવાઈ રહી છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા અને શામળાજી પંથકમાં મેધમહેર દરમિયાન એકંદરે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખેતીના કામકાજમાં પરોવાયા છે.મુરઝાતા ખેતીના પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.ભિલોડા તાલુકામાં આજ દિન સુધીમાં કુલ 165 મી.મી વરસાદ સરકારી દફતરે નોંધાયો છે.
ભિલોડામાં ગતરોજ સાંજે અને રાત્રે સાર્વત્રિક વરસાદ વરસતા ભિલોડા-ઈડર ધોરીમાર્ગ પર સહકારી જીન પાસે વરસાદી પાણી ભરાયું હતું.ખાડીયા ચોકમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા.
શામળાજી-રતનપુર પંથકમાં મેધમહેર દરમિયાન વેણપુર ગામ પાસે નેશનલ હાઈ – વે નંબર – 8 મુખ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.બાઈક,રીક્ષા સહિત કારમાં વરસાદી પાણી ભરાતા એકા-એક બંધ પડ્યા હતા.વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા વાહન ચાલકોમાં હાઈ-વે ઓથોરિટી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભિલોડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતા.